Board Exam : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં રાજ્યભરમાં કુલ 9,917,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. 31 માર્ચ 2024ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે. પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
પ્રવક્તા મંત્રીએ આપી વિગતો
પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10 ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર આગામી તા. 31 માર્ચના રોજ સવારે 10 થી 04 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.
તંત્રની તૈયારીઓ
પ્રવક્તા મંત્રીએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે,પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોસિયલ મિડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.
પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં પોલીસ કરશે મદદ
વધુમાં તેમણે કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.
ગેરરીતિના કિસ્સામાં દોષિત પર થશે આ કાર્યવાહી
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ।.2,00,000/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot: કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના ઘરે પહોંચ્યા પરષોત્તમ રૂપાલા