Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ (Rajkot Fire Incident) લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા અને આ આગમાં અંતે 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. ત્યારબાદ તેમાં SIT ની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી. અંતે ગેમઝોનના સંચાલક ,TPO અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા છે. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં SIT ની ટીમે તુષાર ગોકાણી દ્વારા હાઇકોર્ટમાં કહ્યું હતું કે, TRP ગેમઝોનનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટેની કોઈ પણ પ્રકારની અરજી કોર્પોરેશનમાં કરવામાં આવી ન હતી. આ અગ્નિકાંડ 25 મેના રોજ સર્જાયો હતો અને 26 મેના તેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. ઘટનાના એક જ દિવસ બાદ ગેમઝોનના મલિક અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહેવા પર ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. જાડેજાની સૂચનાથી કોર્પોરેશનના ઓરીજનલ દસ્તાવેજનો નાશ કરવામાં આવ્યો હતો.
સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવી હતી
હાઇકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ કહ્યું કે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનોજ સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. 4 મેના કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની કોઈ અરજી કરવામાં આવી નહતી. સાથે જ 9 મેના અરજી બાબતે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. રાજકોટ પોલીસ દ્વારા કલમ 201નો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો. IPC 201 પુરાવાનો નાશ કરવા માટે લાગુ કરવામાં આવતી હોય છે. હવે આ મામલે આજે કોર્ટમાં આ નવા ખુલાસાઓ હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ગેરકાયદે બાંધકામ નહીં તોડનાર મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠીયાએ પોતાની જાતને પોલીસ અને કાયદાકીય બાબતોમાંથી બચવા માટે ઉભી કરેલી બોગસ મીનીટસ બુકે અત્યારે ટાઉન પ્લાનીંગ શાખાના ઘણાં કર્મચારીઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. બોગસ મીનીટસ બુક કાંડમાં ક્રાઈમ બ્રાંચ ધારે તો જે તે કર્મચારીઓએ આ બુકમાં સહી કરી હોય કે સહમતી દર્શાવી હોય તેને આરોપી બનાવી શકે. સાગઠીયા બાદ અત્યારે તો અંદાજે 20થી વધુ ટીપી શાખાના કર્મચારીઓ પર લટકતી તલવાર છે.
SIT ની તપાસમાં મિનિટ્સ બુકમાં મોટા ખુલાસાઓ
SIT દ્રારા તપાસમાં આ વોટસએપ ગ્રુપમાં ૨૦થી વધુ કર્મચારીઓએ હા માં હા ભણી સહીઓ કરી અથવા તો આ બોગસ મીનીટસ બુકમાં મુક સહમતી દર્શાવી હતી. અત્યારે SITની ટીમ દ્રારા આ તમામ કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધીના પોલીસ સમક્ષ ટીપીઓ સાગઠીયાના કહેવાથી અને ધમકી આપતા સહીઓ કરી અને આ બોગસ મીનીટસ બુકમાં સહમતી દર્શાવી હોવાનો કકકો ભણી રહ્યા છે. કોઈપણ ખોટા કામમાં દબાણથી પણ સહીઓ કરવી તે કાયદાકીય પ્રક્રિયા મુજબ ગુનાહીત કૃત્ય ગણી શકાય. ત્યારે હવે તો આ સમગ્ર મામલે સાગઠીયા પર જ ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે. નાની માછલીઓને આગળ કરીને શું સરકાર મોટી માછલીઓ એટલે કે મોટા અધિકારીઓને બચાવવા માંગે છે? શા માટે હજુ સુધી તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર અને અન્ય જવાબદાર મોટા અધિકારીઓની શા માટે કોઈ પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી નથી ?