કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો (Bharat Jodo Nyay Yatra) ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. તેમણે આજે ન્યાય યાત્રાની સાથે રાજ્યના કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે ધારાસભ્યો સાથે ગુજરાતની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સૂત્રોનું માનીએ તો, રાહુલે ધારાસભ્યોને આગામી દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરવા કહ્યું અને 2024ની ચૂંટણી સાથે મળીને લડવા કહ્યું.
રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક યોજી
રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ જેવા સ્થાનિક નેતૃત્વને મજબૂત કરવા જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના જૂથવાદ અંગે તેમણે કહ્યું કે અમારા નેતાઓ એકબીજાના પગ ખેંચે છે અને આગળ વધવા દેતા નથી. રાહુલે તમામ ધારાસભ્યોને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા જણાવ્યું હતું. લોકોની વચ્ચે જઈને પાયાના મુદ્દા ઉઠાવવા અને પોતાની પકડ મજબૂત કરવા કહ્યું.
ધારાસભ્યો 2022ના પરિણામો માટે કોને જવાબદાર માને છે ?
તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ પરિણામો પર ધારાસભ્યોને પ્રશ્નો પૂછ્યા. ધારાસભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કારણે રાજ્યમાં ચૂંટણી હારી છે. તેમણે કહ્યું કે આગામી વખતે AAP ગઠબંધન થશે, પરિણામો એટલા ખરાબ નહીં હોય. તમને જણાવી દઈએ કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો જીત્યા હતા. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં માત્ર 12 ધારાસભ્યોએ હાજરી આપી હતી.
યાત્રા પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા જ રાજ્યમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. લાડાણીએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાને હરાવીને જીત મેળવી હતી. તેમના રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 17થી ઘટીને 13 થઈ ગઈ છે.
રાજીનામાને કારણે 5 બેઠકો ખાલી
અરવિંદ લાડાણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સહિત 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. ધારાસભ્યોના રાજીનામાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ બેઠકો ખાલી પડી છે. જેમાં વિસાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને માણાવદરની બેઠકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજીનામું આપનારા ચારેય પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. અરવિંદ લાડાણી વિશે એવી પણ ચર્ચા છે કે તેઓ ભાજપમાં જોડાશે.
આ પણ વાંચો : Gandhinagar : જુની પેંશન યોજના મામલે સરકારી કર્મચારીઓ આકરા પાણીએ, કેસરી ખેસ પહેરી સરકાર સામે મેદાનમાં ઉતર્યા