પોલીસ શહિદ સ્મૃતિ દિવસે મુખ્યમંત્રીએ કરાઈ પોલીસ અકાદમી ખાતે દિવંગત પોલીસ કર્મીઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

October 21, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક કરાઈ પોલીસ અકાદમી ખાતે આયોજિત પોલીસ શહિદ સ્મૃતિ દિવસે દિવંગત પોલીસ કર્મીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના અવસરે સંબોધન કર્યું હતું.

સ્વ નો નહીં સમાજ સુરક્ષાનો ભાવ

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસ દળના ફરજ પરસ્ત જવાનો ગમે તેવી કુદરતી આફત કે અન્ય આકસ્મિક ઘટનાઓમાં પોતાના જાનની પરવા કર્યા વિના સ્વ નો નહીં સમાજ સુરક્ષાનો ભાવ હૈયે રાખીને ફરજ બજાવે છે. ફરજ દરમિયાન વીરગતિને વરેલા પોલીસ કર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ઉમેર્યું કે, પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના, વાર-તહેવાર, કોઈપણ પ્રસંગ જોયા વિના ૨૪x૭ ફરજમાં ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ સમાજ જીવનના સાચા રક્ષક છે. તેમણે કહ્યું કે, પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અન્યના જીવ બચાવવા એટલું જ નહીં, કપરા સમયે ફરજ પર અડગ રહી સમાજ સુરક્ષા કરવી એ વિચારનો અમલ જ પોલીસ કર્મીઓની કર્તવ્ય નિષ્ઠાને વંદનને પાત્ર બનાવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વમાં પોલીસ દળનું મોરલ બૂસ્ટ અપ થયું છે. ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણો માટે આવે છે કેમકે તેમને શાંતિ, સુરક્ષા, સલામતીનો અહેસાસ આપણા પોલીસ દળની નિષ્ઠાપૂર્વકની ફરજોથી થાય છે તેનો મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પોલીસ દળના વીર શહીદોના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના પ્રગટ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે છે અને જરૂર જણાયે વધુ સક્રિયતાથી પડખે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે.

વીર પોલીસ જવાનોના બલિદાન, ત્યાગ અને સમર્પણની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખીને ગુજરાતની શાંતિ, સુરક્ષા, સલામતી અને વિકાસની ગાથા અવિરત ગતિશીલ રાખવા સૌને સાથે મળી આગળ વધવાનું આહવાન આ તકે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

પરિવાર-બાળકોને ભૂલીને પોલીસના કર્તવ્યનિષ્ઠ જવાનો ફરજ રત રહે છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૧૯૫૯માં ૨૧ ઓક્ટોબરે લદાખમાં હુમલામાં શહિદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિ કાયમ રાખવા દર વર્ષે ૨૧મી ઓક્ટોબરને પોલીસ શહિદ સ્મૃતિ દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, ટાઢ-તાપ, વરસાદ, ગરમી વેઠીને પણ પોતાના પરિવાર-બાળકોને ભૂલીને પોલીસના કર્તવ્યનિષ્ઠ જવાનો ટ્રાફિક નિયમન, ગુનાખોરી નિયંત્રણ માટે સદૈવ ફરજ રત રહે છે. પ્રજાના આવા ઉમદા સેવક અને પ્રજા જીવનના પ્રહરી પોલીસ કર્મીઓ પ્રત્યે સમાજનો અભિગમ પણ પ્રોત્સાહક બને તેવી અપીલ ગૃહ રાજ્યમંમંત્રીએ કરી હતી.

ગૃહ રાજ્યમંત્રીએ વીર શહિદ પોલીસ જવાનોના પુણ્ય સ્મરણ સાથે સેવા રત જવાનો-કર્મીઓની સેવા નિષ્ઠાને પોલીસ શહિદ સ્મૃતિ દિવસે લોકો યાદ કરી જ્યાં પોલીસ દેખાય ત્યાં એક સન્માન સલામ જરૂર કરે તેવું પ્રેરક આહવાન પણ કર્યું હતું.

પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે પોલીસ શહિદ સ્મૃતિ દિવસના કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી સૌને આવકાર્યા હતા.

Read More

Trending Video