NEET Protest : આજે નીટ-યુજી પરીક્ષા (NEET UG)રદ મામલે સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. પરીક્ષામાં ગેરરીતિના આરોપો પર કોર્ટે પરીક્ષા આયોજક એજન્સી NTAને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.આ મામલે આગામી સુનાવણી 8 જુલાઈના રોજ થશે. પરંતુ હવે સમગ્ર દેશમાં આ પરીક્ષા કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર (Jamnagar)માં પણ આજે આ મામલે વિરોધ (NEET Protest) નોંધાવવામાં આવ્યો હતો.
જામનગરમાં NSUIએ નોંધાવ્યો વિરોધ
જામનગરમાં આજે NEET – UGની પરીક્ષામાં કૌભાંડ મામલે ડીકેવી સર્કલ પાસે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NEET ની પરીક્ષામાં મોટાપાયે કૌભાંડ થવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. NSUI દ્વારા આ NEET ની પરીક્ષાને ફરીથી લેવાની માંગણી કરવામાં આવી છે. જામનગરમાં આ NSUI ના આગેવાનો અને કાર્યકરો મોટેપાયે રસ્તો રોકી વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પ્રકારના કૌભાંડથી લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
NEET-UG પરીક્ષા રદ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
આ મામલે દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અગાઉ કોર્ટ આ કેસની સુનાવણી જુલાઈમાં કરવાની હતી. જો કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પહેલા તેની સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTA ને કડક શબ્દોમાં કહ્યું કે પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ પરીક્ષાની પવિત્રતા પર સવાલો ઉભા થયા છે અને અમને આના જવાબની જરૂર છે. જો કે, સુપ્રીમ કોર્ટે NEET UG 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો
ઉલ્લેખનીય છે કે, NEET UG પરીક્ષાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. 720માંથી 720 માર્કસ મેળવનાર 67 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 6 એક જ પરીક્ષા કેન્દ્રના છે. આવી સ્થિતિમાં પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે. NTA પર પરીક્ષામાં અનિયમિતતા અને ગ્રેસ માર્ક્સ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ઘણી સંસ્થાઓનું કહેવું છે કે પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે, તેથી ફરીથી પરીક્ષા યોજવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 720માંથી 718 અને 719 માર્ક્સ મેળવવું અશક્ય છે. તે જ સમયે, પરીક્ષામાં વિલંબના કિસ્સામાં ગ્રેસ માર્ક્સ આપવા પાછળનું કારણ કેટલાક વિદ્યાર્થીઓને બેકડોર એન્ટ્રી આપવાનો પ્રયાસ છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્સી દ્વારા 29 એપ્રિલે પ્રકાશિત કરવામાં આવેલી આન્સર કીમાં ખામીઓ છે. 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પણ પેપર લીક થયાની ફરિયાદો ઉઠી હતી.
આ પણ વાંચો : Surat : સુરતની સ્મીમેર કોલેજની હોસ્ટેલને શર્મસાર કરતી ઘટના, રેસિડેન્ટ ડોક્ટર બોયઝ હોસ્ટેલમાં રંગરેલિયા મનાવતા ઝડપાયો