ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું.
ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.
તેમણે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જણાવી રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમર, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.