Malaria Free Gujarat : વર્ષ -૨૦૩૦ સુધીમાં મલેરિયા મુકત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકાર નિર્ધાર 

Malaria Free Gujarat – રાજ્ય સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

July 11, 2024

Malaria Free Gujarat – રાજ્ય સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં ૧૦૦૦ ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પ કર્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ કરવામાં આવશે તેમજ રાજ્ય, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ જન સમુદાયમાં જન જાગૃતિ ઉભી કરવા અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શાળાઓ – કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત વિવિધ કાર્યક્રમો થકી આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યમાં જુન માસ સુધીમાં ૨૨ જિલ્લાઓના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ ૨૧૮ ગામોમાં ૪૫,૩૫૫ ઘરોને આવરી લેવામાં આવ્યા છે, તેમજ રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલીકાઓમાં “હાઉસ ટુ હાઉસ” અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૦,૫૭૮ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમો દ્વારા ૧,૩૧,૩૨,૮૯૦ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૧,૬૩,૦૮૪ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા આ પોરની જાણ આરોગ્યની ટીમને થતા ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.

વધુમાં ૩,૬૩,૬૨૯ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૨,૯૯,૩૩૨ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા અને મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી.

બીજા તબક્કામાં કુલ ૧૮,૦૬૫ ટીમ દ્વારા ૧,૪૩,૮૬,૬૪૨ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૧,૬૫,૩૨૨ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૩,૫૪,૧૪૦ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૩,૦૨,૭૨૯ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

રાજ્યમાં ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમો મંજુર કરવામાં આવી છે. જે હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલીકાઓમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી કરી રહી છે.

Read More

Trending Video