Kutch : રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આગની ઘટનાઓ સર્જાઈ છે. તેમાં પણ જ્યારથી TRP ગેમઝોનમાં આગ (Rajkot TRP Game Zone Fire)ની ઘટના બની અને 27 જિંદગીઓ તેમાં જીવતી હોમાઈ ગઈ, ત્યારે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. હવે જ્યારથી રાજકોટ અગ્નિકાંડની ઘટના સર્જાઈ ત્યારથી જ હવે સરકારી કચેરીઓ હોય શાળા હોય કે પછી ગેમઝોન્સ હોય દરેક જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. પરંતુ હવે તો એવી ઘટનાઓ સામે આવે છે કે સરકારે પણ શરમાવાની જરૂર છે. ફાયર સેફટીના અભાવની વાતો કરતી સરકાર UNESCO દ્વારા જાહેર કરાયેલ સ્થળ પર જ ફાયર સેફ્ટિનો અભાવ એટલે તો હવે હદ વટાવી દીધી છે.
ભુજના સ્મૃતિવનના કિડ્સ એરિયામાં ફાયર સેફ્ટિનો અભાવ
UNESCO દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવનને સ્થાન આપવામાં આવ્યું હતું. સ્મૃતિવનને યુનેસ્કોમાં સ્થાન મળ્યું તેને હજુ 10થી 15 દિવસ જ થયા છે. એ જ સ્મૃતિવનમાં આવેલ “કિડ્સ પ્લે ઝોન”માં ફાયર NOC નથી. જેને કારણે કિડ્સ પ્લે ઝોનને બંધ કરવામાં આવ્યું. ફાયર NOC ન હોવાના લીધે સ્મૃતિવનના “કિડ્સ પ્લે ઝોન” ભુજ પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે. એક મહિનો વીતી ગયા બાદ ભુજ પાલિકાને ધ્યાને આવ્યું છે કે કિડ્સ પ્લે ઝોન ફાયર NOC વિના ચાલતું હતું. સવાલ એ છે કે શું આજ દિન સુધી તંત્ર સુતુ હતું ? ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું ત્યારે પણ શું ત્યાં તપાસ કરવામાં આવી નહોતી. જો ત્યાં આવેલા કિડ્ઝ ઝોનમાં આગ લાગે અને તે આગ વિકરાળ બની સ્મૃતિવનમાં ફેલાઈ હોય તો જવાબદાર કોણ ? કારણે કે આ મ્યુઝિયમમાં ફક્ત ગુજરાતના જ નહી પરંતુ દેશ વિદેશમાંથી પણ લોકો અહિયા આવે છે. જો કોઈ મોટી દુર્ઘટના બની હોય તો તેના જવાબદાર કોણ ?