Khyati Hospital : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજનાના નામે કૌભાંડ, કડીના 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરતા બેના મોત

November 12, 2024

Khyati Hospital : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. આજે પણ અમદાવાદમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ફ્રી કેમ્પમાં આવેલા દર્દીઓમાંથી 2ના મોત અને 19 દર્દીઓ સારવાર હેઠળ છે.

અમદાવાદમાંથી ફરી ખાનગી હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો 10 નવેમ્બરના રોજ એક ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કડીથી 19 દર્દીઓને લકઝરી બસ મારફત અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં આ 19 દર્દીમાંથી 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ 7 દર્દીઓમાંથી 2 દર્દીઓના મૃત્યુ નિપજ્યા અને 5 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ દર્દીઓની એન્જીયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. સરકારી યોજનાનો લાભ લેવા માટે આ દર્દીઓને અહીં લાવવામાં આવ્યા હતા. બંને મૃતક દર્દીઓના આયુષ્માન કાર્ડમાંથી દોઢ લાખ રૂપિયા કપાઈ ગયેલ છે.

બોરીસણા ગામના તલાટીએ આ મામલે શું કહ્યું ?

ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મૃત્યુ બાદ સમગ્ર રાજ્યમાં ઉહાપોહ મચી ગયો છે. બોરીસણા ગામના તલાટીએ આ મામલે કહ્યું કે, અહીંયા જે કેમ્પ યોજાયો હતો તે મામલે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી આપવામાં આવી નથી. અને આ મામલે કોઈ પણ જાણ કરવામાં આવી નથી. રવિવારે કેમ્પ યોજાયો હતો અને તે દિવસે જાહેર રજા હતી. તેથી હું બીજા દિવસે આવ્યો ત્યારે મને આ સમગ્ર ઘટનામાં બે લોકોના મૃત્યુ મામલે જાણ થઇ હતી. અને આગળ પણ આ મામલે જે કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું.

મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું ?

મહેસાણાના કડી તાલુકાના બોરીસણા ગામમાં યોજાયેલ કેમ્પ બાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી અને જે બાદ 7 દર્દીઓમાંથી 2ના મૃત્યુ થયા હતા. આ મામલે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે પ્રાથમિક તપાસમાં આ કેમ્પ મંજૂરી વગર યોજવામાં આવ્યો હતો તેવું જાણવા મળે છે. આ સમગ્ર મામલે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી બહાર આવશે. અને રાજ્ય કક્ષાએથી જ આ મામલે હવે તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોUttar Pradesh : પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓનો હંગામો, યુપી પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ એકઠા થયા

Read More

Trending Video