Kheda Fake Teacher : ખેડામાં ભૂતિયા શિક્ષક બાદ હવે નકલી શિક્ષક ઝડપાયો, નિમણુંક પામેલ શિક્ષકની જગ્યાએ અન્ય ભણાવવા જતો હતો

August 11, 2024

Kheda Fake Teacher : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી રોજ એક આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના બે શિક્ષક બાદ હવે આજે વધુ એક નવા ભૂતિયા શિક્ષકનો કેસ સામે આવ્યો છે. ત્યારે સ્કૂલમાં હવે નકલી શિક્ષક પણ પકડવામાં આવ્યો છે. જે સરકારી શિક્ષકની નિમણુંક કરવામાં આવી હતી, તેની જગ્યાએ નકલી શિક્ષક બાળકોને ભણાવતા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ખેડામાં ભૂતિયા શિક્ષક બાદ હવે નકલી શિક્ષકનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખેડાની કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં તાલુકા મથકથી 25 કિમી દૂર શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર હતા. અને તેમની જગ્યાએ નકલી શિક્ષક બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલ અન્ય વ્યક્તિને પોતાના સ્થાને હાજર રાખે છે. 80 હજાર પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મીડિયાના કેમેરાને જોઈ વિજય નામના નકલી શિક્ષકે ચાલતી પકડી હતી. તેને જ્યારે પૂછવામાં આવ્યું તો એવું કહેવા લાગ્યો કે મારે કામ હતું એટલે હું આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે વીડિયોમાં જોવા મળે છે કે શિક્ષક ખુરશીમાં બેસી ટેબલ પર પગ મૂકીને આરમાંથી બેસી બાળકોને ભણાવતા નજરે પડી રહ્યા છે. અને એવું કહે છે કે હું કામથી આવ્યો હતો. આ મામલે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પણ લૂલો બચાવ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે.

જ્યારે આજ બાબતે DPOને પૂછવામાં આવ્યું ત્યારે ડીપીઇઓ પરેશ વાઘેલાનું બચાવ કરતું નિવેદન આપ્યું હતું. DPO શિક્ષક પુસ્તકો લેવા પે સેન્ટરમાં ગયો હતો. બીજા વ્યક્તિને તે દરમિયાન શાળામાં મૂકી ગયા હતા. આજે આ મામલે એક ટીમ સ્કૂલમાં તપાસ કરવા માટે મોકલી છે. જો ખોટું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. બારીયાના મુવાડા પે સેન્ટરમાં પુસ્તકો લેવા જવાની વાત ઉપજાવી કાઢી બચાવની મુદ્રામાં DPO આવ્યા હતા.

જ્યારે આ જ બાબતે પે સેન્ટર આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમનું નિવેદન તદ્દન અલગ સાંભળવા મળ્યું હતું. આશિષ પટેલનો કોઈ પ્રકારના રજા રિપોર્ટ બાબતે જાણ ના હોવાનું કહી રહ્યા છે. આમ છતાં તપાસમાં શિક્ષણ વિભાગ ભીનું સંકેલવાના પ્રયાસમાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. તેમાં પુસ્તકો ક્યાં આવ્યા. વેકેશનમાં માર્ચ એપ્રિલમાં જ તમામ પે સેન્ટરમાં પુસ્તકો પહોંચી જાય છે.

ત્યારે હવે શિક્ષણ વિભાગની આવી લાલિયાવાડીના કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે જાગશે અને આવા શિક્ષકો સામે ક્યા પગલાં ભરવામાં આવશે. કારણકે ગુજરાતમાં અનેક આવા અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે. ત્યાં પણ આવી જ લાલિયાવાડી ચાલતી હશે ને ? ત્યારે આ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા શું કોઈ પગલાં ભરવામાં આવશે ખરા?

આ પણ વાંચોHaryana BJP : AAPના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકી ભાજપમાં જોડાયા, 3 કલાકમાં જ બતાવ્યો પાર્ટીમાંથી બહારનો રસ્તો

Read More

Trending Video