IPS officer Rajkumar Pandian vs MLA Jignesh Mevani: રાજ્યમાં ફરી એકવાર ધારાસભ્ય વર્સીસ અધિકારીનો જંગ જામ્યો છે જેમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને IPS અધિકારી રાજકુમાર પાંડિયન સામસામે આવ્યા છે. થોડા દિવસ પહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ( Jignesh Mevani) દલિતોના પ્રશ્નો મુદ્દો અધિકારીને મળવા ગયા હતા આ દરમિયાન બંન્ને બોલાચાલી થઈ હતી. જે બાદ જીજ્ઞેશ મેવાણીએ આરોપ લાગાવ્યો હતો કે, IPS અધિકારી રાજકુમાર પાંડિયને તેમનું અપમાન કર્યું છે. આ બાબતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષને પણ રજૂઆત કરી હતી. તેમજ ગઈ કાલે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને IPS અધિકારી રાજકુમાર પાંડિયનથી તેમને ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે, તેમને અથવા તેમના પરિવારને કંઈ પણ થાય તો તેની જવાબદારી રાજકુમાર પાંડિયની રહેશે ત્યારે હવે જીગ્નેશ મેવાણીએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને IPS રાજ કુમાર પાંડિયને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં દલીતોને સરકારી પડતર અને ટોચ મર્યાદા ધારા તળે ફાળવેલી20 હજાર વીઘા જમીનોમાં અસામાજિક તત્વો અને માથા ભારે ગુંડોઓના ગેરકાયદે દબાણો છે. આ મુદ્દે હું સતત તમારી સરકારમાં વિવિધ સ્તરે રજૂઆતો કરતો રહ્યો છું. અમારી આ રજૂઆતોને પગલે તાજેતરમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં બેલા અને નંદા ગામે દલિતોને ફાળવવામાં આવેલી જમીનોમાં માથા ભારે તત્વોનું ગેર કાયદે દબાણ હોવાની કચ્છ જિલ્લાના મહેસૂલી તંત્ર દ્વારા સ્થળ ખરાઈને અંતે કબૂલાત કરવામાં આવી. પરંતુ, આ દબાણ કરનારા વિરૂદ્ધ SP ગાંધીધામ અને IG ચિરાગ કોરડીયા કોઈ લેન્ડ ગ્રેબિંગ કે Atrocities act હેઠળ ગુનો દાખલ કરવા માંગતા નથી અને જમીન ફાળવણીના લાભાર્થી દલિતો ઉપર જીવલેણ હુમલો ન થાય એ સુનિશ્ચિત કરવા કોઈ અટકાયતી પગલાં પણ ભરવા માંગતા નથી. મતલબ કે આ બંને અધિકારીઓ જાણે દલિતો ઉપર કોઈ હિંસક હુમલો થાય એની રાહ જોઉ બેઠા હોય એવું એમનું વલણ છે.
જીગ્નેશ મેવાણીએ કરી રાજકુમાર પાંડિયનના રાજીનામાની માંગ
તેમણે વધુમા જણાવ્યું કે, આ બાબતે હું અને કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા એડીશન ડી.જી. IPS રાજ કુમાર પાંડિયનને મળવા 15 ઓકટોબરના રોજ બપોરે 12:30ની આસપાસ ગયેલા.પરંતુ, આ ઘમંડી અધિકારી એ અમો સાથે જે બેહદું વર્તન કરેલ એની વિગતવાર ફરિયાદ અમો એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપેલ, જેની નકલ આ સાથે સામેલ છે.આ અધિકારી IPS રાજ કુમાર પાંડિયન અગાઉ એન્કાઉન્ટરના એક કેસમાં 302ના આરોપી તરીકે7 વરસ જેલ કાપી કેસ માંથી ડિસચાર્જ થયેલ છે. એમની સામે અતિ ગંભીર, અતિ સંગીન આરોપો છે. તેઓ મારા અને મારા પરિવારના અને ટીમના નજીકના સાથીઓના જાન માલને ગંભીર નુકશાન પહોંચાડે એમ છે અને અમારું એન્કાઉન્ટર કે હત્યા પણ કરવી શકે એમ છે તેમ જણાવીને IPS પાંડિયનને નોકરીમાંથી ડિસમિસ કરવા જણાવ્યું છે તેમણે કહ્યુ કે, IPS રાજ કુમાર પાંડિયનને નોકરીમાં એક ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી.
IPS રાજકુમાર પાંડિયન સામે જીગ્નેશ મેવાણી આકરા પાણીએ
આ મામલે જીગ્નેશ મેવાણી સતત આરોપો લગાવી રહ્યા છે પંરતુ IPS રાજ કુમાર પાંડિયન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી ત્યારે જીગ્નેશ મેવાણી આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવે આ વિવાદ એટલો વધી ગયો છે કે, જીગ્નેશ મેવાણીએ પોતાના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને IPS રાજ કુમાર પાંડિયનને નોકરીમાં કાઢી મુકવાની પણ વાત કરી છે. ત્યારે હવે આ વિવાદનો શું અંત આવે છે તે જોવું રહયું..
આ પણ વાંચો : બબીતા ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા : સાક્ષી મલિકના દાવાથી હડકંપ