Jamnagar Bomb Threat : છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે. છેલ્લા અઠવાડિયામાં અંદાજે 10 થી વધુ વાર ફ્લાઈટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે આજે જામનગરમાં ઇન્ડિગોની ફ્લાઇટને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજે જામનગર- હૈદરાબાદ ફલાઇટમાં બૉમ્બ મુકાયાનો મેસેજ મળ્યો હતો. ત્યાર પછી જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. અને મુસાફરોને વિમાનમાંથી ઉતારી બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની મદદ થી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 40 થી 50 પેસેન્જર ફ્લાઈટમાં હૈદરાબાદ જવાના હતા, ત્યારે આ મેસેજ મળતા તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એરપોર્ટના મુખ્ય દરવાજાની બહારથી લોકોની અવરજવર પણ બંધ કરવામાં આવી હતી. સાથે જ જામનગર એરપોર્ટ ખાતે પોલીસની ટીમ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા એરપોર્ટની અંદર ફ્લાઈટને હોલ્ડ ઉપર રાખી તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા જામનગર એરપોર્ટની અંદર ચેકિંગ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. હાલ 4 કલાક બાદ વાંધાજનક કંઈ ન મળતા ફલાઇટ હૈદરાબાદ જવા રવાના થઈ હતી.