Chandipura Virus: ચોમાસાની (monsoon) શરૂઆત થતાં જ દેશના અનેક રાજ્યોમાં મચ્છરજન્ય રોગોના વધતા જતા કેસો આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયા હતા, તે દરમિયાન ગુજરાતમાં (Gujarat) શંકાસ્પદ વાયરસે સમસ્યાઓમાં બમણો વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) ચેપને કારણે 7 બાળકોના મોત થયા છે. ગઈ કાલે સાંજે હિંમતનગરમાં (Himmatnagar) એક બાળકનું આ વાયરસને કારણે મોત નિપજ્યું હતું. આ સાથે હવે સંક્રમણના શંકાસ્પદ કેસ વધીને 12 થઈ ગયા છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર
થોડા વર્ષો પહેલા વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી બાદ હવે એક નવા વાયરસે દસ્તક આપી છે. જેને ચાંદીપુરા વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસના સમાચાર આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં દેશની આરોગ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.
ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ શિકાર 15 વર્ષથી નીચેના બાળકો છે. આ ઉંમરના બાળકોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે. ચાંદીપુરાની સારવાર માટે હજુ સુધી કોઈ એન્ટી વાઈરલ દવા બનાવવામાં આવી નથી.
ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?
- ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.
- ચાંદીપુરા વાયરસ (CHPV), Rhabdoviridae પરિવારનો સભ્ય, ગ્રામીણ વિસ્તારોમાં ચેપનું વધુ જોખમ ધરાવે છે. તે મોટે ભાગે બાળકોને અસર કરે છે અને શરૂઆતમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોનું કારણ બને છે.
- તેનો ચેપ મચ્છર,અને અમુક પ્રકારની માખીઓના કરડવાથી ફેલાય છે.ચેપના ગંભીર કિસ્સાઓમાં, તીવ્ર એન્સેફાલીટીસ (મગજમાં બળતરા) થઈ શકે છે. સમયસર સારવાર ન મળવાથી દર્દીના મોતનો પણ ભય રહે છે.
ચાંદીપુરા વાયરસથી બચવા માટેના ઉપાયો
ચાંદીપુરા વાયરસનો ચેપ ખૂબ જ દુર્લભ હોવાથી, તેની હજુ સુધી કોઈ યોગ્ય સારવાર નથી. જો કે, ચેપની સમયસર તપાસ અને સારવાર શરૂ કરવાથી તે ગંભીર બનવાનું અને મગજને લગતી વિકૃતિઓ થવાનું જોખમ ઘટાડી શકે છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, બાળકોને આ ચેપી રોગથી સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવા જોઈએ. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળો. મચ્છર, માખીઓથી બચો. ચેપના લક્ષણો વિશે જાણવું અને સમયસર સારવાર મેળવવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.
આ પણ વાંચો : સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે : Chaitar Vasava