HC on Rajkot Fire : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા અને આ આગમાં અંતે 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. ત્યારબાદ તેમાં SIT ની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી. અંતે ગેમઝોનના સંચાલક ,TPO અધિકારી અને અન્ય જવાબદાર નાના અધિકારીઓને તેમાં સસ્પેન્ડ કરાયા. આજે આ સમગ્ર અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ (HC on Rajkot Fire)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સરકાર અને મહાનગરપાલિકા તંત્રની ઝાટકણી કાઢી હતી.
અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
રાજકોટમાં થોડા દિવસ પહેલા સર્જાયેલા અગ્નિકાંડને લઇ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની કોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે સરકાર અને મહાનગર પાલિકાઓને આડે હાથ લીધા છે. આ મામલે હાઈકોર્ટે કહ્યું કે, મહાનગરપાલિકાઓ પોતાનું કામ સરખી રીતે કરતી નથી. જેથી તમામ અધિકારીઓ ઉપર ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી કરવાની હાઈકોર્ટે તરફેણ કરી છે. વધુમાં હાઇકોર્ટે કહ્યું કે, જ્યારથી ગેમઝોનની પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઇ અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો પર ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી બેસાડવામાં આવે. અને તેમાં જોડાયેલા તમામ અધિકારીઓની તપાસ કરવામાં આવે. હાઇકોર્ટે કહ્યું છે કે ઈન્કવાયરી બે દિવસમાં જ બેસાડવામાં આવે અને 15 દિવસની અંદર આ ઈન્ક્વાયરીનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે. ત્યારે જોવાનું રહયું કે ખરેખર શું આ તપાસ થશે અને જો તપાસ થઇ અને કોઈ અધિકારી તેમાં જવાબદાર ઠર્યું તો શું તેમને સજા કરવામાં આવશે ?
આ પણ વાંચો : Jetpur Viral Video : ગાંધીના ગુજરાતમાં સરાજાહેર ચાલે છે દારૂનો વેપલો, વીડિયો લેવા છતાં પણ દારૂનું વેચાણ બંધ ન કર્યું