રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રોડ, પાર્કિગ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. આ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટ પાસેથી સમય માગ્યો હતો, હાઈકોર્ટે રાજ્ય સરકારને અઠવાડિયાનો સમય આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે, કહ્યુ છે કે, હવે માત્ર કાગળ પર કાર્યવાહી નહીં ચાલે, જો કડક કાર્યવાહી નહીં કરવામા આવે તો કોર્ટ પગલા ભરશે,
જાણો હાઈકોર્ટે શું કહ્યું ?
ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે કોર્ટ કહ્યું કે,વિશ્વાસ જાળવી રાખવાની જવાબદારી સરકારની છે. સરકારી તંત્રની આલોચના કરી છે. અમારા નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યું, ગ્રાઉન્ડ પર કંઈ કામ નથી દેખાતું, કર્મચારીઓ, અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, પોલીસ મનપાને રક્ષણ પુરૂ નથી પાડી રહીં “
અઠવાડિયાનો સમય આપ્યો
મહત્ત્વનું છે કે રખડતાં ઢોરને લઈ સરકારે કાયદો ઘડ્યો હોવા છતાંય આ સમસ્યા વકરી રહી હોવાથી હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. રખડતાં ઢોરોના ત્રાસ સહિતના મુદ્દે હાઈકોર્ટે જારી કરેલા વારંવારના હુકમોનું શા માટે હજુ સુધી પાલન થયું નથી તે મામલે ખુલાસો માગવામા આવ્યો હતો. અને હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. અધિકારીઓએ યોગ્ય જવાબ ના આપતા કોર્ટે ફિટકાર લગાવી હતી, અને કહ્યું હતુ કે હવે માત્ર કાગળ પર કાર્યવાહી નહીં ચાલે, હવે કડક કાર્યવાહી નહીં થાય તો પગલા લેવામાં આવશે, હાઈકોર્ટે 7 નવેમ્બર સુધીમાં કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
અનેક વાર કરી ટકોર
ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે અગાઉ રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મામલે અનેકવાર ટકોર અને નિર્દેશો કર્યા હતા તેમ છતાં પણ પરિણામ શૂન્ય આવતા અધિકારીઓ સામે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.