રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, દશેરા દુર્ગુણો સામે સદગુણો અને અનિષ્ટની સામે ઈષ્ટના વિજયનું પર્વ છે. આપણે આપણી અંદરના અવગુણો અને અનિષ્ટો પર વિજય મેળવીએ.
અન્યના દુઃખે દુઃખી અને અન્યના સુખે સુખી થાય તે જ સાચા મનુષ્યનું લક્ષણ છે. અન્યોનાં દુઃખના આંસુ આપણી આંખમાંથી નીકળે, અન્યોની પીડા જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે એ જ સાચી માનવતા છે. આ દશેરાએ સંકલ્પ લઈએ કે, આપણામાંના દુર્ગુણો દૂર કરીને સાચી માનવતાની સ્થાપના કરીએ..
મુખ્યમંત્રીએ નાગરિકોને દશેરાની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, વિજયાદશમીનું આ પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે.
મુખ્યમંત્રીએ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.