Gopal Italia : ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે. અને આ આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઇ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખુબ મોટો હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો. અને ગઈકાલે એ દીકરીને જામીન પણ મળી ગયા. પરંતુ ભાજપ નેતાઓ તો આ મામલે બોલવા પણ તૈયાર નહોતા. એક તરફ ભાજપના દિલીપ સંઘાણી સિવાય પાટીદાર યુવતી મામલે કોઈએ કંઈ જ પ્રતિક્રિયા આપી નહિ. અને બીજી તરફ AAP અને કોંગ્રેસ નેતાઓ સતત તેની વહારે રહ્યા હતા. યુવતીએ પોલીસ દ્વારા માર મારવાના નિવેદનને લઈને આજે ગોપાલ ઈટાલીયા દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં પોતાને પટ્ટા મારવાની વાત કરી હતી.
ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ?
આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર યુવતીના વકીલ ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તેને લઈને માફી માંગી હતી. ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. હાલ આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું છે. ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી.
ગુજરાતનો સૂતેલો આત્મા જાગવો જોઈએ.
ગુજરાતમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એ ઘટનામાં હું એસપીને મળ્યો પણ ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું.
આ સિવાય ભૂતકાળમાં અનેક ઘટનાઓ જેવી કે, લઠ્ઠાકાંડ, પેપરલીકકાંડ, મોરબીકાંડ,… pic.twitter.com/zM7qPUQZBz
— Gopal Italia (@Gopal_Italia) January 6, 2025
વધુમાં તેઓએ જણાવેલ કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી. અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા. ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરેલ હતી.
ગોપાલ ઈટાલીયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : HMPV Case : અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન