Gajendrasinh Parmar : ગુજરાતમાં હાલ દુષ્કર્મની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. આ ઘટનાઓમાં ભાજપ નેતાઓના નામ પણ સામે આવે છે. અને જયારે ભાજપ નેતાઓના કોઈ કેસમાં નામ જોડાયેલા હોય ત્યારે તેના પર ન તો કોઈ મોટી તપાસ કરવામાં આવે કે ના તો તેમને કોઈ સજા કરવામાં આવે. તેવું જ કંઈક બન્યું હતું. અમદાવાદની એક મહિલા દ્વારા તેની સગીરા દીકરી સાથે દુષ્કર્મનો આરોપ ભાજપના ધારાસભ્ય સામે કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આજે આ મામલામાં ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા માહિતી અપાઈ હતી. વર્ષ 2021થી લઈને થયેલી પૂછપરછ અને અન્ય કામગીરીને લઈને માહિતી કોર્ટને અપાઈ હતી. જો કે કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરી કેટલાક સવાલો કર્યા હતા કે, ‘અમને એ ખ્યાલ નથી આવતો કે રેપ જેવા આરોપોમાં શા માટે ફરિયાદ નોંધ્યા વગર પૂછપરછ કરવામાં આવી? શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં નથી આવી? આમ તો 406 જેવા કિસ્સામાં તરત FIR નોંધવામાં આવે છે. બીજી બધી જે દલીલો છે તે ફરિયાદ બાદ ચાર્જશીટમાં પણ કરવામાં આવી શકતી હતી.
કોર્ટે પોલીસનો લીધો ઉધડો
સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, પોલીસે તપાસનું કામ કહ્યું છતાં પણ મહિલા વારંવાર અરજી કરે છે. 2020ની ઘટનામાં ફરિયાદ નોંધવા 08 મહિના બાદ વર્ષ 2021માં અરજી આવી હતી. આ સાથે મહિલાઓ સમાધાન કર્યા પછી અરજી કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો ત્યારે કોર્ટે રોકડું પરખાવ્યું હતું કે, IPC 376 અંતર્ગત દુષ્કર્મના આક્ષેપમાં પહેલા FIR નોંધાય તો FIR કર્યા પહેલા પ્રાથમિક તપાસ કેમ કરાઈ? FIR પહેલાં શેની તપાસ? કોર્ટે ટકોર કરી હતી કે, પોલીસમાં માણસાઈ જોઈએ, કોર્ટે કહ્યું હતું કે, પહેલા ફરિયાદ નોંધીને આ બધી તપાસ કરવાની હોય તેમજ જ્યારે પોલીસે કોર્ટમાં મહિલાના ચારિત્ર્ય વિશે કહ્યુ ત્યારે કોર્ટે કહ્યુ કે, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને MLAને બચાવો નહિ, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધૂમાડો ઉઠે નહીં.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, MLAને બચાવવા મહિલાની ફરિયાદ નોંધાઈ નથી. કોર્ટે કહ્યું કે, MLAને બચાવવા FIR પહેલા પાંચ વખત તપાસ કરવામાં આવી છે, FIR પહેલા તપાસ કરીને MLAને ક્લીનચીટ આપી દીધી અને વળી ફરિયાદીની છબિ ખરાબ કરો છો. FIR પહેલાની આ તપાસ જ કોર્ટને હેરાન કરનારી છે! બધી તપાસ FIR થવી જોઈએ. આમ કોર્ટે હાઇકોર્ટની નારાજગી બાદ એડવોકેટ જનરલે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી હતી. એડવોકેટ જનરલે 21 ઓક્ટોબર પહેલાં એફઆઇઆર નોંધવા અંગે ખાત્રી આપી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 21 ઓક્ટોબર 2024ના રોજ હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો ?
મહિલાની ફરિયાદ મુજબ ઓગસ્ટ 2020 માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. આ મામલે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો. તેમજ ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર સ્ટે ઓર્ડર આપ્યો હતો. ત્યારે આ કેસની તપાસની કાર્યવાહીમાં પણ રાજકીય દબાણની સાથે મહિલાને ધમકી આપવામાં આવી હતી.જેથી આ અંગે જોધપુર હાઇકોર્ટમાં ધરપકડ પરનો સ્ટે ઓર્ડર હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી.
આ મહિલાનો આક્ષેપ છે કે, કોર્ટમાં રાજકીય દબાણને કારણે તેમના કેસનો નંબર આવતો નહોતો અને સતત નવી તારીખો જ આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે જોધપુર કોર્ટમાં મુદ્ત હતી ત્યારે તેણે કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મહિલાએ જજને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુકવાની સાથે હાઇકોર્ટ પાસે ન્યાયની માંગણી કરી હતી. ત્યારે તેનું નિવેદન નોંધીને ચિઠ્ઠી પણ તપાસ માટે જમા લીધી હતી જે બાદ રાજસ્થાનમાં વધુ એક ગુનો ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાયો હતો.
આ સિવાય પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં કરાઈ હતી. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી, પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી નહીં. પરંતુ પોલીસે બારોબાર તપાસ કરીને આ કેસમાં ધારાસભ્યને ક્લીનચીટ આપી અને મહિલા બ્લેકમેઈલ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : BJP Gujarat : ભાજપના સદસ્યતા અભિયાનમાં બીજા તબક્કાનો આજથી પ્રારંભ, સી.આર.પાટીલ પહેલા સક્રિય સભ્ય બન્યા