એક તરફ રાજ્યમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના સરકારના નિર્ણયનો જ્ઞાન સહાયક ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. જ્ઞાન સહાયક યોજનાના (Gyan Sahayak Scheme) વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે તેની સાથે રાજ્યના ફીક્સ પેના કર્મચારીઓનું આંદોલન ચાલ્યું હતું જેને ખાળવા સરકારે ફીક્સ પેના કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી હતી જોકે તેમાં મતમતાંર છે આ બધા વચ્ચે રાજ્યમાં વધુ એક આંદોલન શરૂ થાય તેવા ભણકારા વાગી રહ્યાં છે.
પ્રશ્નોનું નિરાકરણ નહી
એસટી નિગમના (GSRTC) કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોને લઈને હવે એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો મેદાને આવ્યા છે. સરકાર અને નિગમને વારંવાર રજૂઆત છતાં આજદિન સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા એસટી નિગમના કર્મચારીઓ રચનાત્મક વિરોધ પર ઉતર્યાં છે અને આવનારી તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉતરશે.
વિરોધ
આજે રાજ્યભરના તમામ એસટી નિગમના કર્મચારીઓએ તેમના ડેપો અને વર્કશોપ પાસે સુત્રોચ્ચાર કર્યાં અને કાળીપટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આજે રાજ્યભરમાં એસટી નિગમના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધીને ફરજ પર હાજર રહ્યાં હતા. આજે નિગમના 35 હજારથી વધારે કર્મચારીઓ આ વિરોધમાં જોડાયા હતા.
18 માંગણીઓ
એસટી નિગમના કર્મચારીઓની વિવિધ 18 માંગણીઓ છે પુર્ણ કરવા વર્ષ 2022માં પણ આ કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા. પરંતુ જેતે વખતે સરકાર અને નિગમના અધિકારીઓની હૈયાધારણ બાદ આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું હતું. તે વખતે સરકારે માંગણીઓ પૂર્ણ થશે તેવો લોલોપોપ આપ્યો હતો પરંતુ આજદિન સુધી તેમની એક પણ માંગણીઓ પૂર્ણ કરી નથી.