Delhi Airport : દિલ્હી એરપોર્ટ કેનોપી તૂટી પડવાની ઘટના અંગે સક્રિય પગલાં લેવાની ખાતરી આપતા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરાપુએ શનિવારે જણાવ્યું હતું કે આ ઘટનામાં અસરગ્રસ્ત મુસાફરો માટે રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ્સ સુનિશ્ચિત કરવા માટે એક વોર રૂમની રચના કરવામાં આવી છે.
મંત્રીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 1 પર કેનોપી તુટી જવાની ઘટનામાં થયેલા જાનહાનિ પર પણ શોક વ્યક્ત કર્યો હતો.
શોક વ્યક્ત કરતાં રામ મોહન નાયડુએ કહ્યું, “દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટના ખૂબ જ દુ:ખદ છે અને હું એક વ્યક્તિ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેણે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે.
“અમે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને ઘટનાની જાણ થતાં જ, NDRF અને CISFની ટીમો સહિતની તમામ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તુરંત જ ઘટનાસ્થળે ગઈ હતી અને વધુ નુકસાન અટકાવવા માટે રાહત કામગીરીમાં લાગી ગઈ હતી.”
મંત્રીએ સાત દિવસની અંદર રિફંડ અથવા જેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તેમને વૈકલ્પિક ફ્લાઈટ્સની ખાતરી આપી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાંને ટાંકીને નાયડુએ કહ્યું, “હાલ માટે, ટર્મિનલ-1 સંપૂર્ણપણે બંધ છે અને ખાલી કરવામાં આવ્યું છે. ફ્લાઇટની તમામ મુવમેન્ટને ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પર ખસેડવામાં આવી છે.
“જે લોકોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેઓને કાં તો રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ આપવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોકોને સાત દિવસમાં રિફંડ આપવા માટે એક પરિપત્ર પસાર કરવાનો નિર્ણય લીધો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે આ સંદર્ભે વોર રૂમની રચના કરવામાં આવી છે અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયના એક અધિકારીને વોર રૂમમાં મૂકવામાં આવ્યા છે.