રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખ કિમતનો જથ્થો જપ્ત કરાયો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ-૧ ને મળેલ બાતમી આધારે તા: ૨૦/૧૦/૨૦૨૩ના રોજ અમદાવાદ વિભાગ ના ઔષધ નિરીક્ષકો ની દેખરેખ હેઠળ સફળ રેડ કરી ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ સોદારામ કુમ્હાર, રહે. હાઉસ નંબર ૧૭૨૨, બીજો માળ, વાડા પોળ, ખાડીયા, અમદાવાદ પાસે થી POSMOX CV 625 (Amoxicillin and Potassium Clavulanate with Lactic Acid Bacillus Tablet) દવાનો કુલ ૯૯ બોક્ષ (૧૦ x ૧૦ ટેબલેટ) કુલ રુ. ૨,૬૧,૨૫૦/- નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વ માં ન હોવાનું સામે આવ્યું
જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવેલ છે. આ દવાઓ ની પ્રાથમિક તપાસ માં આ દવાઓ ના ઉત્પાદક M/s. D G Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું,જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે કમિશનરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વ માં ન હોવાનું સામે આવ્યું છે.
ખિમારામ સોદારામ કુમ્હારની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા, રહે. ૨૦, રાજનગર સોસાયટી, વટવા, અમદાવાદ નામના વ્યકિતપાસેથી ખરીદો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમાર રાજેંદ્રસિંહ અમેરા ની પુછપરછ કરતા તેઓએ સદર દવાનો જથ્થો વિપુલ દેગડા, રહે. જે – ૪૦૨, શાકુંતલ એપાર્ટ્મેંટ, રાજધાની બંગ્લોઝની બાજુમાં, ઇસનપુર, અમદાવાદ નામના વ્યકિત પાસેથી ખરીદો હતો.તેના રહેઠાણ ની ભાળ મેળવી અમદાવાદના ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી ૫ (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૩,૩૦૦/- થવા જાય છે તે જપ્ત કરેલ છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓ દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ, રહે. ૧, પારુલ સોસાયટી, મેમનગર ફાયર સ્ટેશન પાસે, નવરંગપુરા, અમદાવાદ પાસેથી વગર બીલે મેળવ્યો હતો જે બાબતે દર્શનકુમાર પ્રવિણચંદ્ર વ્યાસ દ્વારા ઇન્કાર કરતાં વધુ તપાસ ચાલુ છે.
નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા
વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેઓએ આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું છે. આથી કમિશનર , ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યની વડી કચેરી ના માર્ગદર્શન હેઠળ રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા ૧૦.૫૦ લાખ નો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, ૧૯૪૦ ની ધારા કલમ -૧૮ (સી) અને તે અન્વયે ના નિયમો ના ભંગ બદલ આ ઇસમો સામે આગળ ની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઇસનપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ
આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશન ને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.