CM Bhupendra Patel News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી અવસરે ઉજવાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તા. ૦૬ ડિસેમ્બરે પહોંચશે.
150 કાયમી પદયાત્રીઓ સાથે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થનારી આ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આ પદયાત્રા સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’ રાષ્ટ્રીય પદયાત્રાને ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહા, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર, આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.… pic.twitter.com/MId06geENC
— CMO Gujarat (@CMOGuj) November 26, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરીને જણાવ્યું હતું કે, વિશ્વ નેતા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ ઉપક્રમે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું હતું, તે પવિત્ર ભૂમિ કરમસદ થી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાઈ રહી છે.
CM Bhupendra Patelએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને આપેલી સાચી અંજલિ ગણાવતા કહ્યું કે, સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક બની છે.
સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબના માર્ગ પર આગળ વધીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે. આ પદયાત્રા દરમિયાન આયોજિત કાર્યક્રમોથી લોકો સરદાર સાહેબના જીવન મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ મજબૂત થશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સરદાર સાહેબના મૂલ્યોના આધારે નવા ભારતના નિર્માણનું મહાકાર્ય થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કરોડો હિંદુઓના આસ્થાના પ્રતિક રામ મંદિરમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધ્વજારોહણથી મંદિર નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. થોડા દિવસો અગાઉ દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા ઐતિહાસિક ચાર લેબર કોડ્સ દેશમાં લાગુ થયા છે. સરદાર સાહેબ હંમેશા શ્રમિકો અને ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યા, જેમણે અમદાવાદના કામદારોના હક માટે અને ખેડા તથા બારડોલીના ખેડૂતોના ન્યાય માટે અંગ્રેજી હકુમતને હચમચાવી નાખી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ-૩૭૦ દૂર થઈ. તેના પરિણામે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર અને સમાજ માટે રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે, તેવું પણ સ્પષ્ટ જણાવ્યું હતું.
પટેલે જણાવ્યું કે, સરદાર સાહેબનો ગરીબી દૂર કરવા માટેનું સપનું વડાપ્રધાનએ પૂર્ણ કર્યું છે. દેશમાં અનેક કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલના કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. કરોડો લોકોને તેમના સપનાનું ઘર મળ્યું છે અને સ્વચ્છ પીવાનું પાણી પણ ઉપલબ્ધ થયું છે.
‘સૌના સાથ, સૌના વિકાસ’ ના મંત્ર થકી વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ તેમનું સમગ્ર જીવન ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે દેશ માટે સમર્પિત કર્યું છે. ત્યારે આપણે સૌ એકતાના મૂળ મંત્રને આત્મસાત કરીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આગળ વધીશું તે જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહીને પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત ત્રિપુરા રાજ્યમાં કરાયેલી ઊજવણી અને આયોજનની રૂપરેખા આપી હતી. આ પદયાત્રા કોઈ સામાન્ય પદભ્રમણ નથી, પરંતુ દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક સમા લોહપુરુષ સરદાર પટેલને સમર્પિત વિશેષ આયોજન છે, તેમ મક્કમપણે જણાવી તેમણે રાજ્યની જનતા અને ત્રિપુરાની તરફથી ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.
સાહાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી આ વર્ષે વિશેષ હોવાનું ઉમેરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’નો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પદયાત્રા સ્વતંત્ર ભારતના એકીકરણના શિલ્પકાર સરદાર પટેલના યોગદાનનું સ્મરણ કરીને દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. આ અભિયાનની મૂળ ભાવના ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ સાથે સંકળાયેલી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રીએ આ પ્રસંગે સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ એ સરદાર સાહેબની અપરિમિત દૂરંદેશિતા, દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમને વ્યક્ત કરે છે. સરદાર પટેલ દેશની એકતા અને સંગઠિત રાષ્ટ્રીયતા માટે જીવનભર સમર્પિત રહ્યા હતા.
સાહાએ વર્ષ-૨૦૧૪ થી સરદાર પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયની સરાહના કરી હતી. વર્ષ-૨૦૧૫ માં સરદાર પટેલની ૧૪૦મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલની પરંપરા શરૂ કરી હતી, જે દેશની ભાષા, સંસ્કૃતિ અને વિરાસતને જોડવાનું રાષ્ટ્રીય અભિયાન છે. ગુજરાતમાં નર્મદા કિનારે સ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે દેશની એકતા અને શક્તિનું આગવું પ્રતીક બની છે, તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
અંતમાં સાહાએ યુનિટી માર્ચને દેશને વધુ મજબૂત, સમૃદ્ધ અને એકતાબદ્ધ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરનાર ગણાવી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભૂમિકા નિભાવવા, એકતાને સર્વોચ્ચ મૂલ્ય તરીકે જાળવી રાખવા અને સરદાર પટેલના સંકલ્પિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબના જીવન અને તેમના કાર્યોને જાણવા ઉપરાંત દેશને એક કરવા તેમણે કરેલા યત્નોને જન-જન સુધી પહોંચાડવાનો આ અવસર છે. ગુજરાતના બે પનોતા પુત્રો સરદાર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વનાયક સાબિત થયા છે. તદુપરાંત તેમણે રાષ્ટ્રીય પદયાત્રાની રૂપરેખા પણ જણાવી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉજવણી એ દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષની ઊજવણી એ સુભગ સમન્વય અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
આ પણ વાંચો: Ahmedabad Civil Hospitalની ઐતિહાસિક સિદ્ધિ, 222 અંગદાતાઓના અંગદાન થકી 713 વ્યક્તિઓને મળ્યું નવજીવન