અરવલ્લીના મોડાસા તાલુકાના અમરાપુર ગામમાં આજે વહેલી સવારે પોલીસ ત્રાટકી અને ગ્રામજનોને જાણ કર્યા વગર જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર જમીન માપણીની કામગીરી કરવા પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા છે. આ વિવાદ મામલે બે દિવસ પહેલા પણ ગ્રામજનો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક ગ્રામજને ભારે હૈયે જણાવ્યું કે, આ લોકો વહેલી સવારે અંગ્રેજોની જેમ દમન કરવા પહોંચી ગયા.
લાઠીચાર્જ
તો બીજી તરફ, પોલીસે સ્થાનિકો પર લાઠીચાર્જ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓ સહિત 50 જેટલા લોકોને નજર કેદ કરાયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલો હાલ નિયંત્રણમાં આવી ગયો છે.
મહિલા સાથે મારપીટ, બાળકોને લાફા
આ અંગે સ્થાનિક મહિલાએ રોષ ઠાલવતાં જણાવ્યુ કે, “અમે વહેલી સવારે ચાર વાગ્યે સૂતા હતા અને ત્યાં જ 400 જેટલી પોલીસ આવીને મારપીટ કરીને ગાડીમાં બેસાડી દીધા. માત્ર એટલું જ નહીં પરંતુ, પાંચ વર્ષની બાળકીઓને લાફા માર્યા છે. તેમજ 70 વર્ષિય વદ્ધાને ધક્કા માર્યા હોવાથી તે બેભાન અવસ્થામાં છે. તેમને કાંઇ થશે તો જવાબદારી કોની? પોલીસ, મંત્રી કે નેતાની ?
કોર્ટે શું જણાવ્યું ?
આ અંગે અન્ય સ્થાનિકે પણ જણાવ્યુ કે, વર્ષ 2019માં કોર્ટ કમિશન નિમાયું હતુ. તે વખતે કોર્ટે લેખિતમાં આપેલું છે કે, ખેડૂતોનો આટલા વર્ષથી કબજો છે. જે પછી કલેક્ટરે રમેશભાઇને જમીન ફાળવી દીધી જ્યારે કબજો ભોગવટો અમારો હતો. 1952થી અત્યાર સુધી પાણી પત્રક પણ થયુ છે અને અમે અસરગ્રસ્ત છીએ. ત્યારે કલેક્ટર સાહેબે અમને લેખિતમાં આપ્યું છે. જે પછીનો હુકમ આવ્યો તે તદન ખોટો હુકમ છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે, આજે પોલીસ માપણી માટે, કબજો લેવા માટે આવ્યા તે રાત્રે કેમ આવ્યા તે પણ એક મોટો સવાલ છે.
ગ્રામજનો નજરકેદ
મળતી માહિતી પ્રમાણે, માઝૂમ જળાશયના સ્થાનિકોની જે જગ્યા છે તેની ઉપર ગામલોકો 1952થી વાવણી કરતા હતા. તેવા સંજોગોમાં આ જગ્યા સ્થાનિક વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટના આદેશ બાદ માપણી કરવામાં આવી તે જગ્યા પર વિરોધ કરી રહેલા ગ્રામજનોને નજર કેદ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.