Chotila Protest : ગુજરાત સરકાર લોકો પાસે દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ વસુલે છે. આટલો બધો ઊંચો ટેક્સ વસૂલવા છતાં પણ સરકાર લોકોને પ્રાથમિક જરૂરિયાત આપી શકી નથી. લોકોને રોડ-રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે આંદોલન કરવું પડે છે. દર વર્ષે વરસાદ પડે એટલે રોડ-રસ્તાનું ધોવાણ થઇ જાય છે. ચૂંટણી સમયે નેતાઓ દ્વારા નવા રસ્તા બનશે તેવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પણ ચૂંટણી પુરી થયા પછી નેતાઓ ક્યાંય દેખાતા નથી. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે. જેમાં ગામના લોકોએ તૂટેલા રોડ રસ્તાથી કંટાળીને સરકાર સામે લોલીપોપ આપી વિરોધ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આજુબાજુના ગામના લોકોએ આજે સરકાર સામે વિરોધ કર્યો હતો. ચોટીલાના આણંદપુરા, નવાગામ, દેવપરા ગામમાં 15 થી 20 વર્ષથી રોડ બન્યા જ નથી. અને જ્યાં રોડ સારા હતા તે આ ચોમાસામાં ધોવાઇ ગયા છે. ગામમાં રસ્તો ન હોવાથી ઇમર્જન્સી સમયે ગામની અંદર એમ્બ્યુલન્સ પણ આવી સકતી નથી. જેથી મહિલાની પ્રસુતિના સમયે કે ગામલોકોને ગંભીર બીમારીમાં તાત્કાલિક સારવાર મળતી નથી. ત્યારે આજે આપના નેતાઓ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગામલોકોની તકલીફ સાંભળી અને તેમની સાથે મળી સરકારનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ હાથમાં લોલીપોપ રાખી સરકારનો વિરોધ કરતા કહ્યું કે, સરકાર દર વખતે ચૂંટણીના સમયે રોડ બનશે એવા લોલીપોપ આપે છે, પણ રોડ બનાવતા નથી. સાથે જ કહ્યું કે, જલ્દીથી સરકાર આ સમસ્યાનું નિરાકરણ નહિ લાવે તો અમે સરકારી કચેરીએ અમારા ઢોર લઈને વિરોધ કરીશું, સાથે જ હાઇવે ચક્કાજામ કરીશું.
રોડ બને અને પહેલો વરસાદ પડે ત્યાં જ રોડ રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે. રોડ ધોવાઈ જવાનું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર છે. સરકારમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ પર પણ કોઈ કાર્યવાહી કરતી નથી. હવે થોડાક દિવસોમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે, જનતાનો રોષ સરકારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નડશે કે નહિ ?
આ પણ વાંચો : Surendranagar : સુરેન્દ્રનગરમાં મહિલા સરપંચના પતિની દાદાગીરી, ગ્રામજનોએ અવાજ ઉઠાવતા મારામારી પર ઉતર્યા