Chhota Udepur : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), અનંત પટેલ (Anant Patel) આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા (Kevadia) ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. પરંતુ હવે આ મામલે પહેલા ચૈતર વસાવા અને અનંત પટેલને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ અત્યારે (Chhota Udepur) કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા (Sukhram Rathva) સહીત આગેવાનોને પોલીસે અટકાયત કરી છે.
કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સહીત આગેવાનોની અટકાયત
કેવડીયામાં ટ્રાયબલ મ્યુઝિયમના બાંધકામ બિલ્ડરના માણસો દ્વારા બે આદિવાસીઓને બેરહેમીથી માર મારીને મારી નાખવામાં આવ્યા હતા. આજે તે મૃતકોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો. ત્યાં સામાજિક રીતે હાજરી આપવા માટે જવા નિકળેલા કોંગ્રેસના નેતાઓ પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા, કોંગ્રેસના સિનિયર નેતા અને આગેવાન નરેન્દ્ર રાઠવા, રોડધા ગ્રામ પંચાયત અને સામાજિક અગ્રણી ભંગીયભાઈ રાઠવા અને કોંગ્રેસ આગેવાન છત્રસિંહ રાઠવાની રસ્તામાં ધરપકડ કરીને કવાંટ સર્કિટ હાઉસમાં નજર કેદ રાખવામાં આવેલ છે.
રાધિકા રાઠવાએ કાર્યકરોને કેવડિયા પહોંચવા કર્યો હુંકાર
એટલું જ નહિ ડભોઇ ભીખાપુરા પોલીસ સ્ટેશનમાં આપ નેતા રાધિકા રાઠવાની પણ અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે આ મામલે કાર્યકરોને એક વીડિયોના માધ્યમથી કહ્યું કે, અમે લોકો અહીં નજરકેદમાં છીએ પરંતુ તમે લોકો બને તેટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચજો. આ સરકારને એટલો ડર છે જેના કારણે તે અમારી અટકાયત કરી રહ્યા છે. માટે જ તમે લોકો હિમ્મત રાખી આગળ વધજો અને કેવડિયા શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં પહોંચજો.
છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતાઓ અને સામાજિક આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતા હવે આ મામલે નેતાઓએ સરકારના આ વર્તનને વખોડી કાઢ્યું છે. આ ધરપકડને અમે કોંગ્રેસ પાર્ટી, આદિવાસી સમાજ અને સંવિધાનમાં આસ્થા રાખતા, દેશના કાનુનનું સન્માન કરતા સૌ વખોડીએ છીએ અને નિંદા કરીએ છીએ. કોઈ વ્યક્તિ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પણ હાજરી ન આપી શકે?