Chaitar Vasava: આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. વનકર્મી પર હુમલો, ગેરકાયદેસર ફાયરિંગ અને ખંડણી ઉઘરાવવા જેવા ગંભીર કેસમાં સજા ભોગવી રહેલા ચૈતર વસાવાની પેરોલ અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના સખત વલણ અને ઇનકાર બાદ અંતે ચૈતર વસાવાએ પોતાની પેરોલ અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી.
પેરોલ અરજીને જામીન અરજીમાં બદલવાનો ઇનકાર
હાઈકોર્ટમાં ચૈતર વસાવા તરફથી પેરોલ અરજીને નિયમિત જામીન અરજીમાં (Bail Application) તબદીલ (બદલવા) કરવા માટે વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ રજૂઆતને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી અને અરજીનું સ્વરૂપ બદલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ કડક ઇનકાર બાદ વસાવાના વકીલે પેરોલ અરજી પરત ખેંચી લીધી હતી.
‘કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી’: હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, “કાયદો સર્વોપરી છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.” વધુમાં કોર્ટે ઉમેર્યું હતું કે, લોકપ્રતિનિધિ તરીકે આવી ગંભીર સજા પામેલી વ્યક્તિને જો આ પ્રકારે રાહત આપવામાં આવે તો સમાજમાં અત્યંત ખોટો અને નકારાત્મક સંદેશ જશે.
નર્મદા સેશન્સ કોર્ટે ફટકારી હતી 7 વર્ષની સજા
ઉલ્લેખનીય છે કે, વનકર્મી પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ કરવા અને ખંડણી વસૂલવાના ગંભીર મામલામાં નર્મદા સેશન્સ કોર્ટે ગત 23 જૂને ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા સામે તેમણે 3 ઓગસ્ટે સજા પર સ્ટે મેળવવા અને નિયમિત જામીન માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
આ પણ વાંચો: Chaitar Vasava ના જામીન નામંજૂર થતા ગોપાલ ઇટાલિયાના પ્રહાર, ‘લઠ્ઠાકાંડ કરનાર મહેલમાં, ચૈતરભાઈ જેલમાં’