Chaitar Vasava : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત અને જનસભાઓ કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં જઈને ગુજરાત જોડો જનસભાઓ યોજી અને ભાજપ કોંગ્રેસમાં ગાબડું પાડી રહ્યા છે. આ સાથે જ વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. આ સાથે જ આજે પણ માંગરોળ ખાતે ચૈતર વસાવા ગુજરાત જોડો જનસભામાં પહોંચ્યા હતા.
ચૈતર વસાવાએ શું કહ્યું ?
માંગરોળ ખાતે AAPની ગુજરાત જોડો જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં 500થી વધુ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલે છે. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ આજે સરકાર ચલાવે છે. દેશના વિકાસમાં હંમેશા યોગદાન આપનાર આદિવાસી સમાજ આજે છીન્ન ભિન્ન થઈ ગયો છે. આદિવાસી સમાજ આજે શિક્ષકો, શાળાઓ, ડોક્ટરો અને રોજગારી માટે રોડ પર ઉતરી રહ્યો છે. GMDC ના નામે આજે આદિવાસી વિસ્તારમાં ગામડા ખાલી કરવામાં આવે છે.
વધુમાં તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી યુવકોને 12 કલાક કામ કરાવી શોષણ કરવામાં આવે છે અને યોગ્ય પગાર પણ આપવામાં આવતો નથી, આ બધી વસ્તુઓ હવે અમે ચલાવીશું નહીં. સરકાર હવે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારોની વાત નહીં સાંભળે તો અમે ગાંધીનગર તરફ આગળ વધીશું. યુવાનો વડીલો રાજનીતિમાં આવે એવી અમારી અપીલ. ભાજપ અને કોંગ્રેસના સારા અને ઈમાનદાર લોકોને AAPમાં જોડાવા મારી અપીલ. ભાજપ અને કોંગ્રેસ જે સારા લોકોને ટિકિટ ન આપતી હોય એવા લોકો AAPમાં આવે અને ચૂંટણી લડે, પરિવર્તન લાવે.