Chaitar Vasava : ચૈતર વસાવા ડેડીયાપાડાથી ધારાસભ્ય છે. અને આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. ઘણીવાર તો તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સરકાર સામે પણ બાથ ભીડતા જોવા મળતા હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે ચૈતર વસાવાએ આજે કોલેજ ખાતે હલ્લાબોલ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને અન્યાય થયા મુદ્દે આક્રમકતાથી રજૂઆત કરી હતી.
આજે ચૈતર વસાવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને કોલેજના હોદેદારોને રજૂઆત કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ લાખ ફી લીધા બાદ પણ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, સ્કોલરશીપ અને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા છે. આજે આ બાળકોના ચાર વર્ષ બરબાદ થઈ ગયા, હવે તેમને સ્કોલરશીપ પણ નહીં મળે, અને સરકારી નોકરી પણ નહીં મળે. એડમિશન સમયે ડોક્યુમેન્ટ ઉઘરાવી લાખોની ફી લઈને પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને અંધકારમાં રાખવામાં આવ્યા. આનો કોઈ ઉકેલ તમે નહિ લાવો તો હું થોડા સમયમાં કલેક્ટર સામે અને જિલ્લા સંકલન સમિતિ સમક્ષ આ મુદ્દા પર રજૂઆત કરીશ. એ માહિતી પણ મંગાવીશું કે આ રીતની કેટલી કોલેજો આપણા વિસ્તારમાં ચાલી રહી છે. શિક્ષણનું ખાનગીકરણ કર્યું, તેના કારણે આદિવાસી વિસ્તારના ભાઈઓ અને બહેનોનું જીવન અંધકારમય બન્યું છે.
ગુજરાતમાં સરકાર અત્યારે સ્કૂલ, કોલેજનું ખાનગીકરણ કરી રહી છે. ઘણા સમયથી કેટલીય બોગસ કોલેજ ઝડપાઇ છે, જે સરકારની પરમિશન વિના ખુલ્લેઆમ ચાલી રહી હોય છે.સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. ત્યારે ચૈતર વસાવા બોગસ કોલેજ સામે મેદાને પડ્યા છે. ત્યારે જોઈએ કલેક્ટર આ બોગસ કોલેજ સામે કાર્યવાહી કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવે છે, કે નહિ?
આ પણ વાંચો : Chaitar Vasava : ચૈતર વસાવા પર BAP ના મહામંત્રીના સણસણતા સવાલ, કહ્યું, “ચૈતર વસાવા…બાપ તો બાપ જ હોય”