Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક (Teachers) જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં અત્યારે પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષણનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર સાહેબો આપને રાજ્યમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ ખબર છે ? સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી એવી સરકારી પ્રાથમિક શાળાઓ જેમાં બાળકો કથળતી શિક્ષણ વ્યવસ્થાનો ભોગ બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાસે આવેલી સરકારી શાળાની મુલાકાતે ચૈતર વસાવા (Chaitar Vasava) પહોંચ્યા હતા. તેમને ત્યાંની વરવી વાસ્તવિકતા જોઈ હતી અને ખરેખર આપણી શિક્ષણ વ્યવસ્થાઓ સવાલ ઉભા થયા છે.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ચાલી રહ્યો છે. આજે પ્રવેશોત્સવના બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા. જેને લઈને તેમણે શિક્ષણ વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવ્યા છે. અને તેમને કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી 10 થી 15 કિ.મી.ના નજીક ના ગામોની 6 શાળાના કાર્યક્રમોમાં મેં પોતે ભાગ લીધો જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે. જેમાં…
1) માથાસર પ્રા.શા. જેમાં 1 થી 8 ધોરણમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ 100 થી વધુ વિદ્યાર્થીઓ હતા પણ 1 થી 8 ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મુકાતા નથી. જ્યારે ગામની કુલ વસ્તી 1335 છે.
2) માથાસર (ગ)પ્રા.શા.જેમાં 1 થી 5 ધોરણમાં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ કાયમી શિક્ષક છે. અગાઉ 100 થી વધુ બાળકો હતા પણ એક શિક્ષક હોવા થી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકે છે.
3) વાંદરી પ્રા.શા. જેમાં 1 થી 5 ધોરણમાં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. આ ગામમાં 1500 થી વધુ વસ્તી વસે છે. એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકી આવે છે.
4) ખાલ(કણજી)પ્રા.શા. જેમાં 1 થી 5 ધોરણમાં 70 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. એક ઓરડામાં તમામ બાળકો ભણે છે. બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી.
5) કણજી પ્રા.શા.જેમાં 1 થી 8 ધોરણ માં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શાળામાં પુરતા શિક્ષકો અને ઓરડાઓ છે.
6) દેવરા પ્રા.શા.જેમાં 1 થી 5 ધોરણમાં 45 જેટલા બાળકો અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. 2 ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે. મધ્યાહન ભોજનના ઓરડાની વ્યવસ્થા નથી.
આ ગામોમાં આવતા આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લીધી આંગણવાડી વર્કરોનું કાર્ય ખુબ સરસ છે.આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. વિશ્વ ગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક 1 થી 5 ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે. શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણ કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે. ત્યારે આ પરિસ્થિતિ સરકારને શા માટે દેખાતી નથી ?
આ પણ વાંચો : Godhra Education : ગોધરાની શિક્ષણ વ્યવસ્થાની AAP એ ખોલી પોલ, સરકારના પ્રવેશોત્સવના તાયફાઓ પર ઉઠાવ્યા સવાલ