Bharuch : મનસુખ વસાવાએ ભાજપના જ નેતાઓ પર લગાવ્યા હપ્તા લેવાના ગંભીર આક્ષેપો! CMને પત્ર લખી કરી આ માંગ

November 26, 2024

Bharuch :  ભરુચના (Bharuch) BJP સાસંદ મનસુખ વસાવા (Mansukh vasava)પોતાના આખા બોલા સ્વભાવને કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ ફરી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન મામલે પોતાની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માંગ કરી છે.આ સમગ્ર મામલે મનસુખ વસાવાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

સાંસદ મનસુખ વસાવા ફરી આવ્યા ચર્ચામાં

મનસુખ વસાવાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે રેત માફિયાઓ દ્વારા ઊંડાણ થી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોનાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને જીલ્લાનાં ધારાસભ્યો તથા મે સ્વયં જીલ્લા સંકલનની મીટીંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, સમગ્ર નર્મદા કાંઠે, નર્મદા જીલ્લા, વડોદરા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં આવા ખાડા માં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં 25-30 મોટી મશીન બોટ (બાજ) ત્રણે જીલ્લામાં ચાલે છે જે બંધ કરાવું જોઈએ. સંકલનમાં આટલી ચર્ચા થવા છતાં હજુ પણ બેરોકટોક ગેરકાનૂની રીતે રેતી કાઢવાનું કાર્ય ચાલુ છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ કે, તેમણે આ મામલે ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામના સ્થાનિક લોકોની રજૂઆતને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું. જે બાદ કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ અધિકારી, મામલતદાર ઝઘડિયા અને સ્થાનિક પોલીસ વ્હેલી સવારે છ વાગે આ ટીમ ઘટના સ્થાને પહોંચીને એ રેત માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે, નાના વાસણામાં જ્યાં લીજ મંજૂર નથી થઈ તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં રેતી કાઢી રહ્યા હતા અને તેઓ તમામ વડોદરા જિલ્લાના હતા અને ભરૂચ જીલ્લાની હદ માંથી રેતી કાઢી રહ્યા હતા, નાના વાસણા ગામે કલેકટરએ ખાણ ખનીજ, પ્રાંત અને મામલતદારની ટીમને મોકલ્યા હતા પણ આ ટીમએ કાર્યવાહી કરવાનાં બદલે એમને ભગાડી મૂક્યા હતાં.

મનસુખ વસાવાના અધિકારીઓ અને નેતાઓ પર આરોપ

આ સાથે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે કે, ત્રણે જિલ્લાનાં કલેકટર, પ્રાંત, ખાણ ખનીજ અધિકારી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને જીલ્લા પંચાયતના અઘિકારીઓ તથા કેટલાક રાજકીય નેતાઓ મીલીભગત થી આ રેત માફિયાઓ બેરોકટોક આ રેતીનું ગેરકાયદેસરની પ્રવૃત્તિને તેઓ સમર્થન કરી રહ્યા છે. મનસુખ વસાવાએ કહયુ કે, નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પૂલિયાઓ બનાવી દીધા છે જેના પરથી ડમ્પરો દ્વારા રેતી વહન કરે છે, આ બધી બાબત ની વારંવાર આ ત્રણે જિલ્લાનાં વહીવટી અઘિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે, પણ આ બધાને રેત માફિયાઓ દર મહિને લાખો રૂપિયા નાં હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને એમની મરજી મુજબ મન ફાવે ત્યાં થી રેતી કાઢે છે.મનસુખ વસાવાએ જણાવ્યુ કે તેઓ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરશે કે, રાજ્ય લેવલની ટીમ બનાવીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય.

લોકોને મનસુખ વસાવાએ કરી અપીલ

મનસુખ વસાવાએ બીજી ટ્વિટમાં જણાવ્યુ કે, મારી પાછલી પોસ્ટ મૂકવાના અને મુખ્યમંત્રીને મેઈલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં ઉમલ્લા ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર એક ડમ્પરવાળા એ ટી.આર.બી. જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો જેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું.રેતમાફિયાઓ દ્વારા બેફામ રીતે ડમ્પર ચલાવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેના કારણે જ હું આવા ગેરકાયદેસર થતાં કામો સામે મારો અવાજ ઉઠાવું છું. જે લોકોને આવા ગેરકાયદેસર થતાં કામોની ચિંતા નથી એ લોકો પણ આની ચિંતા કરે અને આ રેતમાફિયાઓનાં પાપનો ભોગ સામાન્ય માણસનાં બને એ માટે અવાજ ઉઠાવો ખુબ જરૂરી છે.ટી.આર.બી. જવાન સ્વ.સુમિત વસાવાને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે એવી અપીલ કરું છું.

આ પણ વાંચો : ‘નરેશ પટેલના કેહવાથી PI સંજય પાદરીયાએ મારા પર હુમલો કર્યો’ સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાનો આરોપ

Read More

Trending Video