Bangladesh: બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા મહિનાથી ચાલુ રહેલી જીવલેણ હિંસા (Violence) વચ્ચે શેખ હસીનાએ (Sheikh Hasina) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.પ્રદર્શનકારીઓ PM નિવાસસ્થાન ઢાકા પેલેસમાં ઘૂસી ગયા હતા. ત્યારે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને તેમને કહ્યું કે અમે તમારી માંગણી પૂરી કરીશું. દેશમાં શાંતિ પાછી લાવીશું. તોડફોડ, આગચંપી અને લડાઈથી દૂર રહો. તમે લોકો અમારી સાથે મળીને ચાલશો તો પરિસ્થિતિ સુધરશે. મારપીટ અને હિંસાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. સંઘર્ષ અને અરાજકતાથી દૂર રહો.
શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત નાબૂદીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સતત વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આખરે હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અગાળની સરકાર ચલાવવા અંગે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે, પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. હવે અમે વચગાળાની સરકાર બનાવીને રાજ કરીશું. સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. મને જવાબદારી આપો, હું બધું સંભાળી લઈશ.
શેખ હસીના નાની બહેન સાથે ભારત આવવા રવાના
બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે, સોમવારે બપોરે 2:30 વાગ્યે વડા પ્રધાન શેખ હસીનાને લઈને બંગભવનથી લશ્કરી હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. તેમની નાની બહેન શેખ રેહાના પણ તેની સાથે છે. સૂત્રોએ જણાવ્યું કે તે હેલિકોપ્ટર દ્વારા પશ્ચિમ બંગાળ, ભારતના જવા રવાના થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં આને બળવા તરીકે જોવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં ચાલી રહેલા હિંસક વિરોધને કારણે ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચારેબાજુ વિરોધ પ્રદર્શન, આગચંપી, હિંસા અને કર્ફ્યુના કારણે સેનાએ શેખ હસીનાને દેશ છોડવાની સલાહ આપી હતી.
આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન હાલમાં મીટિંગ કરી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના દેશ છોડતા પહેલા તેમનું ભાષણ રેકોર્ડ કરવા માગતી હતી. પરંતુ તેને તે તક ન મળી. આ સાથે બાંગ્લાદેશ આર્મી હેડક્વાર્ટરમાં હંગામો વધુ તેજ થઈ ગયો છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન હાલમાં મીટિંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય પાર્ટીના વરિષ્ઠ સહ-અધ્યક્ષ અનીસુલ ઈસ્લામ મહમૂદ અને પાર્ટીના મહાસચિવ મુજીબુલ હક ચુન્નુને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ઢાકા યુનિવર્સિટીના કાયદા વિભાગના પ્રો. આસિફ નઝરૂલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gandhinagar: રામકથા મેદાનમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉગ્ર વિરોધ, ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં