Amreli : ગુજરાતના અમરેલી (Amreli)માં બોરવેલ (Borewell)માં પડી ગયેલી બાળકી જીવનની લડાઈ હારી ગઈ. NDRF અને સ્થાનિક પ્રશાસનના તમામ પ્રયાસો છતાં આરોહી નામની આ બાળકીને બચાવી શકાઈ નથી. તે માત્ર દોઢ વર્ષની હતી અને અન્ય બાળકો સાથે રમતી હતી. આ ઘટના અમરેલીના સુરગપુરા ગામમાં બની હતી જ્યાં આરોહી બોરવેલમાં પડી હતી. NDRF અને અમરેલી ફાયર વિભાગે 17 કલાક સુધી આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. જ્યારે આરોહીને બહાર કાઢવામાં આવી ત્યારે તેણીનું મૃત્યુ થયું હતું.
આરોહીને બોરવેલમાંથી જીવતી બચાવવા માટે 17 કલાક સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આરોહીને બોરવેલમાંથી બહાર કાઢીને તપાસવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ આરોહીને મૃત જાહેર કરી. આ પછી, આરોહીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આરોહીના મૃત્યુ બાદ તેના ઘરમાં શોકનો માહોલ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશના રીવામાં એક બાળક બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી હતી અને તે બાળકનું પણ મોત થયું હતું.

જામનગરમાં બે વર્ષનો માસુમ બોરમાં પડ્યો હતો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે ગઈકાલે ખુલ્લા ખેતરમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ 200 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ જામનગર વહીવટી તંત્રનો તમામ કાફલો રાજને રેસ્ક્યુ કરવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે 9 કલાકની જહેમત બાદ આખરે રાજ જિંદગીનો જંગ જીતી ગયો અને વહીવટી તંત્ર દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
દ્વારકામાં પણ બાળક પડ્યું હતું બોરમાં
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઊંડે ફસાયેલી હતી. આ બાળકીને 8 કલાકની મહેનત બાદ બચાવી લેવાઇ હતી. બાળકીને બોરવેલમાંથી સહી સલામત કાઢવામાં આવી હતી. બાળકીને બચાવવા NDRF, SDRF, આર્મીની ટીમ કામે લાગી હતી. બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસમાં મોટો ખુલાસો, TRP ગેમઝોનના 26 મેએ ખોટા દસ્તાવેજ ઉભા કરાયા