Raju Kaparda AAP News: આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકાર તરફથી જે વાતો કરવામાં આવે છે અને મીડિયાને જણાવવામાં આવે છે તેમાં અને ગ્રાઉન્ડ રિયાલિટીમાં આજે જમીન આસમાનનું અંતર છે. આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ લીધા વગર ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતર મળતું નથી. હાલ અનેક કંપનીઓના યુરિયા અને ડીએપી ખાતર આવી રહ્યા છે આમાંથી એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી. સરકાર કહે છે કે કોઈપણ એગ્રો પ્રોડક્ટ વેચનાર બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતોને આપશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. આ પરથી દેખાઈ રહ્યું છે કે સરકારના નિવેદન અને જમીનની વાસ્તવિકતામાં જમીન આસમાનનું અંતર છે. એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદ આપવામાં આવે છે કે બિનજરૂરી પ્રોડક્ટ તેમને પધરાવવામાં આવી રહી છે.
હવે આ પરિસ્થિતિમાં એગ્રો સંચાલકો અને ખેડૂતો વચ્ચે તકરાર થતી હોય છે. આજે એક પણ જગ્યા પર ખેડૂતોને બિનજરૂરી પ્રોડક્ટ લીધા વગર યુરિયા ખાતર મળતું નથી તે વાત સ્વીકારીને સરકારે પોતાનો માથું ઝૂકાવી લેવું જોઈએ. આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ક્યાંકને ક્યાંક સરકારની નિયતમાં ખોટ લાગી રહી છે. સરકારની કૃષિ વિરોધી નીતિઓના કારણે આજે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે. જો સરકારમાં જરા પણ ઈમાનદારી બચી હોય તો સરકાર એગ્રો સંચાલકોને જબરદસ્તી બિનજરૂરી પ્રોડક્ટ વેચતા રોકે અને ખાતર બનાવનાર કંપનીઓને પણ બિનજરૂરી પ્રોડક્ટ વેચતા રોકે. આજે ગુજરાતના ખેડૂતોને લૂંટવાની જગ્યાએ ખાતર આપવાની જરૂરત છે.
આ પણ વાંચો: પ્રદેશના નેતાઓથી લઈને વોર્ડ પ્રમુખો સુધી તમામ લોકો સભાઓ ગજવશે: Manoj Sorathiya