Ahmedabad : અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક ફ્લેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ફ્લેટમાં રહેલ 21 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જ્યારે ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બચાવી લીધા છે.
દાણીલીમડાના ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ફ્લેટના વીજમીટરમાં આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે પાર્કિંગમાં લાગેલી આગ એકાએક ફ્લેટના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને આગને કાબુમા લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અને ફાયર બ્રિગેડે 27 લોકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢી મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
30થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા
પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં 21 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણથી વધુ દાઝી ગયા હતા. આગની ઘટના સમયે ફ્લેટમાંથી 30થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે.