AAP Protest : વિસાવદર ખાતે ઇકોઝોન મામલે ખેડૂત મહાસંમેલન યોજાયું, આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે સરકાર સામે મોરચો માંડ્યો

December 29, 2024

AAP Protest : ગઈકાલે વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોનના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામ, આપ નેતા હરેશભાઈ સાવલિયા, અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, આપ નેતા પરેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ ઇકોઝોનને રદ્દ કરવાની માંગણી કરી હતી. આમ આદમી પાર્ટીએ ઈકોઝોનને રદ્દ કરવા મુદ્દે ખેડૂતોને સંપૂર્ણપણે સમર્થન જાહેર કર્યું છે.

ઈસુદાન ગઢવીએ આ મામલે શું કહ્યું ?

પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, વિસાવદરના મોટી મોણપરી ગામે આજે ઇકોઝોન મુદ્દે ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો સહિત તમામ લોકોની માંગ છે કે સરકાર ઈકોઝોનને રદ્દ કરે. અમે નથી સમજી રહ્યા કે સરકાર ઇકોઝોન શા માટે લાવી રહી છે? આ ઇકોઝોનનો વિસ્તાર કોણે નક્કી કર્યો છે? અમે સાંભળ્યું છે કે ભાજપના નેતાઓની જમીનો આવે અને રિસોર્ટ બનાવવામાં આવે તે માટેનું આખું ષડયંત્ર છે. એક ખેડૂતે પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 થી 50000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે, આ કેવી સરકાર છે? અંગ્રેજોએ પણ આવા કાયદા નથી બનાવ્યા અને આવા કામ નથી કર્યા.

ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું ?

AAP નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આ લોકોએ માલધારીઓને આ ગીરના વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે. આ લોકો જાણતા નથી કે માલધારી લોકો છે ત્યાં સુધી ગીરમાં સિંહો છે, 20-30 વર્ષ પછી જ્યારે ગીરમાં એક પણ સિંહ નહીં બચે ત્યારે લોકોને ભૂલ સમજાશે. વન ખાતાને આખો વિસ્તાર સોંપવામાં આવી રહ્યો છે, તેનો મતલબ છે કે આખા વિસ્તાર પર કબજો કરવામાં આવી રહ્યો છે. માટે આ ઇકોઝોન ગીર માટે અને તેની આસપાસના વિસ્તાર માટે ખૂબ જ ખતરનાક પ્રોજેક્ટ છે.

AAP Protest

યુવા નેતા પ્રવિણ રામે સરકારને આડે હાથ લીધી

ઇકોઝોન મુદ્દે આંદોલન ચલાવનાર AAP યુવા નેતા પ્રવિણ રામે કહ્યું હતું કે, સરકારે જે ઇકો ઝોન જાહેર કર્યો છે તે ઇકો ઝોન નહીં પરંતુ “લૂંટો ઝોન” છે. અત્યાર સુધી એક હાથે લુંટનાર સરકાર હવે ઇકોઝોન લાવીને બે હાથે લોકોને લૂંટવા માંગે છે. પહેલા તમે રેવન્યુ વિભાગમાં લૂંટતા હતા પરંતુ હવે વન વિભાગમાં જશો ત્યાં પણ તમને લૂંટવામાં આવશે. અમે આંદોલન નિયમો હળવા કરવા માટે નહીં પરંતુ આ ઇકોઝોનને નાબૂદ કરવા માટે કરી રહ્યા છે. કોઈપણ ભોગે આ ઇકોઝોન રદ કરવામાં આવે એ જ અમારી માંગણી છે. અમારી એ પણ માગણી છે કે આ ઇકો ઝોનને નાબૂદ કરવાની સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવે.

કરસનદાસ બાપુએ ઇકોઝોન મામલે ભારે વિરોધ નોંધાવ્યો

પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ પોતાની ઇકોઝોન મામલે હુંકાર કરતા કહ્યું હતું , નર્મદાના ઇકોઝોન વિરુદ્ધ સ્થાનિક લોકોએ અને પક્ષ વિપક્ષના તમામ લોકોએ મજબૂત આંદોલન કર્યું, કોર્ટના રસ્તે પણ લડાઈ લડી અને અંતે 2021માં નર્મદામાં લાગુ પડેલો ઇકોઝોન સ્થગિત થયો. સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવ્યો. પણ અહીંયા ગીર પંથકમાં તો જ્યાં સુધી કાયદો લાગુ ન પડે ત્યાં સુધી જૂનું જીઆર લાગુ કરવામાં આવ્યો છે. નર્મદામાં ઈકોઝોન એટલા માટે રદ થયો કારણ કે ત્યાં ભાજપના ચૂંટાયેલા સાંસદોએ, બીજા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ જાહેરમાં રાજીનામાં ધરી દીધા હતા. ત્યારે ભાજપ સરકારે નર્મદાનો ઈકોઝોન રદ કર્યો હતો. તો જો આ વિસ્તારના ભાજપના સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના લોકો સાચે જ ખેડૂતો સાથે ઉભા રહેવા માંગતા હોય તો તાત્કાલિક તેમણે રાજીનામાં ધરીને સરકાર પર ઇકોઝોનને રદ્દ કરવા માટે દબાણ બનાવવું જોઈએ. કારણકે આ ઇકોઝોન ગીર પંથકના ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં જરા પણ નથી.

AAP Protest

પરેશ ગોસ્વામીએ આ મામલે શું કહ્યું ?

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સરકારે ઇકોઝોન લાવવા કરતા જગ્યાએ વન્યપ્રાણીઓ ખેડૂતોના પાકને નુકશાન કરે છે, એમાં પહેલા તો પાકવીમો આપવાની જરૂર છે, ઇકોઝોનનું નાટક કરવાની જગ્યાએ ઘોડાસણ જે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી નિયમોના ધજાગરા ઉડાવવાનું કામ થઈ રહ્યું છે એ બંધ કરવાની જરૂર છે, બીલખામા સિંહ દ્વારા 8 પશુના મારણની ઘટનાને યાદ કરી વનવિભાગને આડેહાથ લેતા કહ્યું કે કોઈ પોતાના ખેતરમાં બેસીને કાયદા હાથમાં લીધા વિના સિંહદર્શન કરતા હોય તો ત્યાં તો વનવિભાગ 10 મિનિટમાં તોડ કરવા પહોંચી જાય છે તો પછી બીલખા કેમ ના પહોંચી શકયા?

AAP Protest

આ પણ વાંચોBharuch : ભરૂચના દહેજમાં GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટના, ચાર લોકોના થયા મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Read More

Trending Video